દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર કડક પ્રતિબંધ: જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ
Live TV
-
સમુદ્ર સીમા સાથે જોડાયેલા અતિ સંવેદનશીલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ સમગ્ર જિલ્લામાં પૂર્વ મંજૂરી વગર ડ્રોન, પેરાગ્લાઇડર કે અન્ય કોઈપણ ઉડતા સાધનો ઉડાડવા પર કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ આદેશ 23 જુલાઈ સુધી સમગ્ર જિલ્લામાં અમલી રહેશે.
વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિર તેમજ ટાટા , આર.એસ.પી.એલ. અને નાયારા જેવી મહત્વની ઔદ્યોગિક સંસ્થાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ આકરો નિર્ણય લેવાયો છે. જો કોઈ વ્યક્તિ પૂર્વ મંજૂરી વગર ડ્રોન કે અન્ય સાધન ઉડાડતા ઝડપાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રીમોટ સેન્સિંગ, સંરક્ષણ અને આંતરિક સુરક્ષા ની કામગીરીને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે.
