ભાવનગર ખાતે ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
Live TV
-
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દેશ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાવનગર શહેરના અટલ ઓડિટોરિયમ હોલ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા મંત્રી તથા ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતે વિકાસ, સુશાસન, આત્મનિર્ભરતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે અને વૈશ્વિક સ્તરે દેશનો પ્રભાવ સતત મજબૂત બન્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા પદભાર સંભાળ્યાના 17 માં દિવસે જ નર્મદા ડેમને મંજૂરી આપીને ગુજરાતના વિકાસને નવી ગતિ પ્રદાન કરવામાં આવી હતી.
ગુજરાત આજે ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, સેમિકન્ડક્ટર ઉદ્યોગો તથા આધુનિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ રાજ્યને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જઈ રહ્યા છે.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે,ભાવનગર માટે ગૌરવની બાબત છે કે અહીં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટ કાર્યરત બન્યું છે. ઘોઘા-હજીરા રો-રો ફેરી સેવા, પાલીતાણા સોલાર પ્રોજેક્ટ, નવી કલેક્ટર કચેરી, સમરસ હોસ્ટેલ અને તળાજા ખાતે પીએમ મોડેલ સ્કૂલ જેવા પ્રકલ્પો જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યોતિગ્રામ યોજના ખેડૂતોને દિવસ દરમિયાન વીજ પુરવઠો, આયુષ્માન ભારત સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે સામાન્ય નાગરિકોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.'વિકસિત ભારત-2047’ના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યોનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે. તેમ તેમણે જણાવ્યું હતું.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસ, આત્મનિર્ભરતા અને સુશાસનના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. દેશના સામાન્ય નાગરિકને વિકાસયાત્રાનો સહભાગી બનાવી સર્વસમાવેશક વિકાસનું મોડેલ ઊભું કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓમાં માર્ગ સુવિધાઓનું વિસ્તરણ થતાં ગ્રામ વિકાસને નવી દિશા મળી છે. કૃષિ, પશુપાલન અને સહકારી ક્ષેત્રમાં થયેલી પ્રગતિના પરિણામે ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થયો છે. સિંચાઈ સુવિધાઓના વિસ્તરણથી કૃષિ ઉત્પાદનક્ષમતા વધી છે અને ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવે ક્ષેત્રે 100 ટકા વિદ્યુતીકરણ, અમૃત ભારત સ્ટેશન યોજના, વંદે ભારત ટ્રેનો તેમજ આધુનિક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ દ્વારા પરિવહન વ્યવસ્થામાં ગુણાત્મક સુધારો થયો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને યુપીઆઈ ક્રાંતિના કારણે ભારત વિશ્વના અગ્રણી ડિજિટલ અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પના પરિણામે ભારત આજે સંરક્ષણ, ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે મજબૂત સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતનું સ્થાન સતત મજબૂત બની રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ દેશ આગળ વધી રહ્યો છે.
ધોલેરામાં વિકસી રહેલા ઔદ્યોગિક માળખા, આધુનિક પરિવહન સુવિધાઓ, એરપોર્ટ અને લોજિસ્ટિક્સ નેટવર્કના કારણે આ વિસ્તાર રોકાણ અને રોજગારીનું મહત્વનું કેન્દ્ર બનશે. તેના સીધા લાભો ભાવનગરને પણ મળશે, જેના પરિણામે સ્થાનિક ઉદ્યોગો, વેપાર, પરિવહન અને સેવા ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે.
ભાવનગરના વિકાસકાર્યોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાઈસ્પીડ રેલ, ફ્લાયઓવર બ્રિજ, ગ્રીન ભાવનગર અભિયાન, નંદી સંવર્ધન યોજના અને ભાવનગર-ભરૂચ કનેક્ટિવિટી જેવા પ્રોજેક્ટ્સ જિલ્લાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડશે.
આ સંમેલનમાં અગ્રણી ઉદ્યોગપતિ અમુ શાહ, નિરમા લિમિટેડના જનરલ મેનેજર ડી. જી. જાખડે, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પૂર્વ પ્રમુખ કિરીટ સોની, પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. નિધી વસાણી ઐયર તથા શીપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ રમેશ મેંદપરાએ પોતાના વિષયક પ્રસ્તુતિઓ દ્વારા વિકસિત ભારતના વિઝનને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો.
પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રકાશ ગોરસિયાએ સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું હતું કે, છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અને જનભાગીદારીના નવા માપદંડો સ્થાપિત કર્યા છે. સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, જનધન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર જેવી ઐતિહાસિક સિદ્ધિઓ દેશના ઉજ્જવળ ભવિષ્યની સાક્ષી છે.
