સુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને માનપુર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે મોટકા કડવા પાટીદાર હનુમાનજી મંદિરના દશાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યપાલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં રામાયણ અને મહાભારત બે મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન રામચંદ્રજીના જીવન અને શાસન વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, એક પુત્ર, પતિ, ભાઈ અને રાજાની ભૂમિકામાં શ્રી રામનું આચરણ બધા લોકો માટે પ્રેરણા અને આદર્શરૂપ છે. પ્રેમ અને ત્યાગની વાત કરતું રામાયણ દુનિયાના ઇતિહાસમાં અનેરુ સ્થાન ધરાવે છે. આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે રામચરિત માનસ કથાના આયોજન બદલ મોટકા પરિવારને અભિનંદન પાઠવતાં તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે તેવું આયોજન કરવામાં આવ્યું તે વિશેષ આનંદની વાત છે.
દેશના ખેડૂતોની આવક બમણી કરવા, ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીને તેમણે ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો. ખેડૂતો રાસાયણિક ખેતી છોડી દેશે તો ઉત્પાદન ઓછું થશે તેવી ભ્રમણા અંગે વાત કરતાં રાજ્યપાલે કહ્યું હતું કે, રાસાયણિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી., જંતુનાશક દવાઓનો મોટા પાયે વપરાશ કરવો પડે છે, જે ઉત્તરોત્તર વધતો જાય છે. રાસાયણિક ખેતી ખર્ચાળ અને જમીનની ફળદ્રુપતા તથા ગુણવત્તા ઘટાડનારી છે. આ રીતે ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનો માણસના સ્વાસ્થ્ય ઉપર પણ હાનીકારક અસરો ઉપજાવે છે. જયારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે. પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થાય છે, જમીન ફળદ્રુપ બને છે. જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે.
દેશમાં આઝાદી બાદ જ્યારે અન્નની મોટા પાયે જરૂરિયાત હતી ત્યારે હરિત ક્રાંતિ થકી આપણે કૃષિ ઉત્પાદન વધારવા રાસાયણિક ખેતી અપનાવી હતી. તે સમયની માંગ હતી. પરંતુ આજે રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગના કારણે માટીની ગુણવત્તા તળિયે ગઈ છે. રાસાયણિક ખેતીને લીધે દેશભરમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ થી નીચે આવી ગયું છે. હવે જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું. વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.
રાજ્યપાલે ખેતીના ઘટકો, દેશી ગાયના છાણ અને ગૌ-મૂત્રના ઉપયોગ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે. ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોને ખર્ચ પણ નહિવત થાય છે. વધુમાં તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી.
