જૂનાગઢના ખંભાળિયા ગામમાં સામાન્ય પરિવારની દીકરી મુદ્રા વ્યાસે સરકારી શાળામાં અભ્યાસ કરી 91.69 પર્સેન્ટાઈલ મેળવ્યા
Live TV
-
ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં એક સામાન્ય બ્રાહ્મણ પરિવારની દીકરી મુદ્રા કમલેશભાઈ વ્યાસ સરકારી શાળામાં અભ્યાસ કરીને 12 આર્ટસ ની પરીક્ષામાં 91.69 પર્સેન્ટાઈલ મેળવીને સિદ્ધિ મેળવી છે.
આજે જ્યારે શહેરમાં ખાનગી શાળાઓની મોંઘા શિક્ષણ, ફી અને ટ્યુશનના અલગથી ખર્ચા થઈ રહ્યા છે. ત્યારે ખંભાળિયા જેવા છેવાડાના ગામડાના દીકરીએ સફળતા હાંસલ કરી છે. મુદ્રા ખંભાળિયાથી ભેસાણ સુધી એસ.ટી. બસમાં અપ-ડાઉન કરીને બારમા ધોરણમાં સિદ્ધિ મેળવતા વ્યાસ પરિવારમાં અને ખંભાળિયા ગામમાં ઉત્સાહનો માહોલ છવાય ગયો છે. પરિવારે શાસ્ત્રોક્ત વિધિથી મુદ્રાને વધાવીને અભિવાદન કર્યું હતું.
સામાન્ય પરિવારમાં જન્મેલી મુદ્રા વ્યાસના પિતા કમલેશભાઈ વ્યાસ કર્મકાંડનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. જયારે માતા ગૃહિણી છે. સંયુક્ત પરિવારમાં ઉછરીને અભ્યાસ કરી રહેલા મુદ્રા સમગ્ર સફળતાનો યશ સરકારી શાળા અને ભેસાણ ભગવતી શાળાના સંચાલકો અને શિક્ષકો તેમજ પોતાના પરિવારને આપી રહી છે. મુદ્રા કહે છે કે, 'આગળ અભ્યાસ માટે BA કર્યા પછી મનોવિજ્ઞાન ક્ષેત્રે આગળ વધીને Ph.d કરવાની ઈચ્છા છે.' જયારે માતા પિતા પણ મુદ્રાની ઈચ્છા મુજબ અભ્યાસમાં મદદ કરવા કટિબદ્ધ છે.
