મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ દુર્ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરીની મેળવી વિગતો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ દુર્ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરીની મેળવી વિગતો
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ગેમઝોનમાં ગઇકાલે બપોરે બનેલ આગના બનાવના ઘટના સ્થળની આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઇને નિરીક્ષણ કર્યું હતું. આ સમયે તેઓની સાથે રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ત્યારબાદ મુખ્યમંત્રી ગિરીરાજ હોસ્પિટલ જવા રવાના થયા હતાં. તેઓએ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી. મુખ્યમંત્રીએ ત્યારબાદ એઈમ્સ હોસ્પિટલ પહોંચીને સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા અને ડોક્ટરોને દર્દીઓ સંબંધીત સુચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
