રાજ્યની ચાર મહાનગરપાલીકામાં રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવાયો
Live TV
-
રાજયમા કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમા લેવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે સંક્રમણને રોકવા માટે રાજ્યની ચાર મહાનગરપાલીકામાં કેસોમાં થતા વધારાને ધ્યાને લેતા રાત્રી કરફ્યુ ૧૫ દિવસ માટે લંબાવવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલંસ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવમાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્યમંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ઘનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનિંગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે તેમજ કોવિડ વેક્સીનેશન કામગીરીની સમીક્ષા કરી વેક્સીનેશન ઝડપથી પૂર્ણ થાય તે અંગે સૂચનાઓ આપવામા આવી છે.
ડૉ. જયંતિ રવિએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગરપાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ ૧૫ દિવસ લંબાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ આ બેઠકમાં કોવિડ-૧૯ રસીકરણ, ફેઝ-૨ માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યકક્ષાએ ૧૦૪ કોરોના સંક્રમણ તેમજ કોવિડ-૧૯ રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.
