બિયારણ-ખાતર અને દવાનો અંદાજે રૂ.1.68 કરોડની કિંમતનો જથ્થો અટકાવાયો
Live TV
-
રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ અને દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારના ખેતીવાડી ખાતા દ્વારા રાજ્યવ્યાપી દ્વિ-દિવસીય ખાસ સઘન ચકાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ક્ષેત્રીય કક્ષાએથી 39 ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ ઝુંબેશને વધુ વેગવંતી બનાવવા સ્ટેટ લેવલની 19 સ્ક્વોડ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સઘન ચકાસણી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેતીવાડી વિભાગને આ માટે દિશા-નિર્દેશો આપ્યા હતા,.
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વિવિધ ઈનપુટના 32 ઉત્પાદકો તેમજ બિયારણના 417, ખાતરના 268 અને દવાના 378 વિક્રેતાઓની આ ઝુંબેશ અન્વયે ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઈ છે. તપાસ દરમિયાન બિયારણના 210, ખાતરના 51 અને દવાના 29 એમ કુલ 290 નમૂના લેવામાં આવ્યા છે. જેને પૃથક્કરણ માટે રાજ્યની જુદી જુદી માન્ય લેબમાં એનાલિસિસ માટે મોકલવામાં આવશે. આ જે 290 નમૂના એકત્ર કરવામાં આવ્યા છે તેમાં કપાસના 108 નમૂના લેવાયા છે તેમાં 43 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મોડીફાઇડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા કપાસના 8 પૈકીના 5 સેમ્પલ શંકાસ્પદ જણાયા હતા. 5 દિવસમાં તેનું એનાલિસિસ કરીને પરિણામ જાહેર કરાશે.
આ સઘન ચકાસણી ઝુંબેશ દરમિયાન એક જ દિવસમાં અંદાજે 1.68 કરોડ રૂપિયાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. જેમાં બિયારણનો 52,619 કિલોગ્રામ, ખાતરનો 82 મેટ્રિક ટન અને દવાઓનો 600 કિલોગ્રામ/લિટર જથ્થાનો સમાવેશ થાય છે. આ રાજ્ય વ્યાપી ચકાસણી ઝુંબેશ દરમિયાન 234 જેટલી નોટિસ પણ આપવામાં આવી છે.
