મહાશિવરાત્રી પર્વે રાજ્ય શિવમય, મંદિરોમાં ભક્તોનો જમાવડો
Live TV
-
હરહર મહાદેવનાં નાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ મહાદેવ
સોમનાથ મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રિ પર્વે જય સોમનાથ અને હરહર મહાદેવનાં નાદથી ગૂંજી ઉઠ્યું હતું. સોમનાથ મંદિરે પ્રથમ પ્રહરની પૂજા બાદ આરતી થઈ હતી. ધ્વજારોહણ અને પાલખિ યાત્રા પણ યોજાઈ હતી. મહાશિવરાત્રિ પર્વ એટલે જીવ અને શિવનું મિલન, આજના દિવસે જ શિવજીના વિવાહ પાર્વતીજી સાથે થયા હતા. મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવા દેશનાં ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવ મંદિરે દર્શને ઉમટ્યા છે. સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે. સવારે 7 કલાક પછી બપોરે 12 વાગે, સાંજે 7 અને રાત્રે 12 કલાકે મહા આરતી યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ધર્મપત્ની અંજલિબેન, મંત્રી વિભાવરીબેન દવે, સૌરાષ્ટ્ર ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ સહિતનાં નેતાઓએ પણ સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું.
દ્વારકામાં ભક્તોએ વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો
આજે મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે દ્વારકા નજીક આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોએ વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો. અને દેવાધિદેવ મહાદેવને દૂધ અને જળાભિષેક કરી પૂજાઅર્ચના કરી હતી. આજે શિવજીની આરાધનાનો ખાસ મહિમા હોવાથી આજે દિવસભર નાગેશ્વર મંદિરે ભક્તોનો જમાવડો જોવા મળશે. કોરોનાની ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા હતા.
વિદ્યાનગરના ઓમકારેશ્વર મંદિરમાં આજે વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે આવ્યા
વિદ્યાધામ વિદ્યાનગરમાં પણ ઓમકારેશ્વર મંદિરમાં આજે વહેલી સવાર થી ભોળેનાથના ભક્તો ની ભીડ જોવા મળી હતી. વિધ્યાનગરમાં એક જ મંદિર આવેલું છે. દેશ વિદેશ અને ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહિ અભ્યાસ માટે આવે છે. વિદ્યાર્થીઓ આ સ્થાનની ખાસ મુલાકાત લેતા હોય છે. આજે મહાશિવરાત્રી પર્વે મંદિરમાં ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુ આનંદપુર્વક શિવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે.
દીવમાં મંગળા આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે દીવના પૌરાણિક સોમનાથ મંદિરમાં મંગળા આરતીના દર્શનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મંદિરમાં કોરોના ગાઈડલાઈન્સના પાલન સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાન શિવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાથે સાથે કોરોનાથી સૌને મુક્તિ મળે તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરી હતી.
મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં શિવ ભકતોની ભીડ
દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાના મહાશિવરાત્રિ પર્વે મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં શિવ ભકતોની ભીડ જોવા મળી રહી છે. લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરે શિવ ભક્તો શિવ આરાધના કરવા ઉમટી પડ્યા હતા. અહીં કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધાપુર્વક થઇ રહી છે. વહેલી સવારથી જ શિવ ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરે પહોંચી ગયા હતા. ભક્તો શિવ લિંગ પર જળ, દૂધનો અભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા. શ્રદ્ધાળુઓ સમગ્ર દેશ અને દુનિયામાંથી કોરોના દૂર થાય તેવી પ્રાર્થના કરી રહ્યા હતા.
