વિધાનસભાના તમામ સભ્યોના પગાર ભથ્થામાં 30 ટકા કાપ મૂકાશે
Live TV
-
કોરોના મહામારીમાં રાજ્ય સરકારની આવકમાં સતત ધટાડો નોંધાયો છે. જ્યારે કોરોનાની સારવારમાં સતત ખર્ચ વધી રહ્યો છે ત્યારે પ્રજાના પદાધિકારીઓએ તેમા પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે જે માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીમંડળના સભ્યો, વિરોધપક્ષના નેતા અને ધારાસભ્યોના પગાર-ભથ્થામાં ૩૦ ટકા કાપને લગતું સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરાયું છે.
કોરોના વૈશ્વિક મહામારી સામેની લડાઇ માટે ગુજરાત વિધાનસભાના તમામ સભ્યોના બેઝિક પગારમાંથી એપ્રિલ,૨૦૨૦ થી એક વર્ષ માટે માસિક ૩૦ ટકા પગાર કાપ કરાશે.જેના કારણે અંદાજીત વાર્ષિક રૂ.૬ કરોડ ૨૭ લાખ બચત થશે. વૈધાનીક અને સંસદીય મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ સબંધમાં 8 એપ્રિલે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. જેને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભામાં બિલ લાવી પસાર કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પક્ષના ૪૮ જેટલા ધારાસભ્યો એ સ્વૈચ્છિક રીતે એક એક લાખ રૂપિયા મુખ્યમંત્રીના રાહત ફંડમાં કોરોના મહામારી સામેની રાજ્ય સરકારની કામગીરીમાં થનારા ખર્ચમાં મદદરૂપ થવા ફાળો આપ્યો છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો એ પણ સ્વૈચ્છિક રીતે પગારકાપ સ્વિકાર્યો છે.
