ધંધા-રોજગાર-ઔદ્યોગિક એકમોના નોકરીયાતો-કામદારોને મતદાનના દિવસે સવેતન રજા
Live TV
-
આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અનુક્રમે તા.01 ડિસેમ્બર અને તા.05 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં યોજાનાર છે. જેમાં કામદારો/નોકરીયાતો સહિત કોઈપણ ધંધાર્થી મતદાન કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક/નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.
વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તા. 1 ડિસેમ્બર અને તા. 5 ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.
આ ઉપરાંત, નોંધાયેલ મતદાર જે વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ જો સામાન્ય કે પેટા-ચૂંટણી હોય તેવા મતવિભાગની બહારના વિસ્તારમાં આવેલ ઔદ્યોગિક એકમ કે સંસ્થામાં નોકરી કરતો હોય તેવો મતદાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(બી)(1) અન્વયે સવેતન રજાનો હક્કદાર રહેશે. આ જોગવાઈનું ઉલ્લંઘન કરનાર માલિક-નોકરીદાતા દંડ-શિક્ષાને પાત્ર રહેશે, તેમ પણ મુખ્ય નિર્વાચન અધિકારીએ વધુમાં જણાવ્યું છે.
